કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે બારાડી-બેરાજાને જોડતા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર

             રાજ્યના કૃષિ, પશુપાલન ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે બારાડી અને બેરાજા ગામોને જોડતા નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.4 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ બ્રિજથી જોડીયા તાલુકાના બારાડી ગામ અને જામનગર તાલુકાના બેરાજા ગામ વચ્ચે પરિવહન સરળ બન્યું છે. આ બ્રિજની લંબાઈ 12 મીટર જેટલી છે. અને તેમાં 20 ગાળા બનાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ બ્રિજનું ખાતમુહર્ત કૃષિમંત્રી ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, કૃષિમંત્રી એ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગ્રામજનોને ચોમાસા દરમિયાન અવર- જવર કરવામાં મુશ્કેલી પડતી હતી. આ નવનિર્મિત બ્રિજ થકી નાગરિકોને પડતી મુશ્કેલીમાં ઘટાડો થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લાના તમામ જજરિત બની ચૂકેલા રસ્તાનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે.

કાર્યક્રમની રૂપરેખા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર છૈયાભાઈએ આપી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ અશોકભાઈએ કરી હતી. ઉક્ત સમારોહમાં, અગ્રણીઓ દલાભાઈ ગરસર, દામજીભાઈ યનિયારા, મનસુખભાઈ ચભાડીયા, વિજયભાઈ જાટિયા, આજુબાજુના ગામોમાંથી પધારેલા સામાજિક અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment